♠ વીરત્વની પ્રાપ્તિ ♠

એક રાજાએ પોતાના પુત્રને આશ્રમમાં ભણવા મોકલતાં કહ્યું : 'કુમાર, આશ્રમના એ ગુરુજન પાસે જ અમે બધા ભણ્યા છીએ. ખૂબ જ ઉમદા ગુરુ છે. એમની પાસે  ભણીને  તું ય હોંશિયાર થઇશ.'

રાજકુમાર આશ્રમમાં પહોંચ્યો ત્યારે ગુરુજીએ કહ્યું : 'તારે શક્તિશાળી થવું છે કે વીર થવું છે ?'

કુમાર મૂંઝાયો. તેણે કહ્યું : 'એ બેનો તફાવત હું કંઇ સમજ્યો નહિ, ગુરુદેવ !'

ગુરુજી કહે : 'તારે જો શક્તિશાળી બનવું હશે તો હું તને ઘોડેસવારી, તીરંદાજી ને તલવારબાજી શિખવાડીશ. ને વીર બનવું હોય તો મારે વિનમ્ર, સહનશીલ  અને અહિંસક બનવું પડશે.'

કુમાર આ વાતમાં ઝાઝો તફાવત સમજતો ન હતો. તેણે વીરત્વ વિશે ઘણું સાંભળ્યું હતું. તે કહે : 'મને વીર બનાવો, ગુરુદેવ !'

બસ, ગુરુદેવે તો કુમારના પાઠો શરૃ કરી દીધા. મોટે ભાગે જે કોઇ આવતું તે બધાંની સેવા કરવાનુંકામ કુમારને જ સોંપવામાં આવતું.

કુમારને આથી ઘણું ખોટું લાગતું. તે મનમાં વિચારતો, કે, 'હું આવડો મોટો રાજકુમાર, અને મારે બધાની સેવા જ કરવાની ! એમાં શીખવાનું શું છે ? એમાંના કેટલાય માણસો તો એટલા સામાન્ય છે, કે ઉંમર સિવાય ભાગ્યે જ એમને બીજું મહત્ત્વ આપી શકાય.'

આથી રાજકુમાર એક દિવસ નારાજ થઇને પિતા પાસે જઇ કહેવા લાગ્યો : 'ગુરુજી, મને વીરત્વનું શિક્ષણ આપે છે. પણ તેમાં આખો વખત બધા સાથે માયા-પ્રીતિ રાખવાનું કહે છે અને મારી પાસે બધાની સેવા કરાવ્યા કરે છે.  એમાં વળી વીરત્વ ક્યાં આવ્યું ?'

રાજાએ એક કિંમતી હાર આપીને પુત્રને કહ્યું : 'આ હાર તું તારા ગુરુજીને ભેટ આપજે.'

કુમાર આથી વળી વધુ આશ્ચર્ય પામ્યો. તેને થયું કે : 'પિતા પાસે ફરિયાદ કરવા આવ્યો તો પિતાએ પણ ફરિયાદ સાંભળી નહિ. ઉપરથી ગુરુજીનું બહુમાન કરી, ઈનામ આપ્યું.'

કુમાર એ હાર લઇ ગુરુજી પાસે ગયો. કંઇ પણ બોલ્યા વિના ગુરુજીને એ હાર અર્પણ કર્યો.

ત્યારબાદ વનસ્પતિઓના પરીક્ષણ માટે ગુરુ-ચેલા જંગલમાં ગયા. ત્યાં સંશોધનમાં મોડું થઇ ગયું. સાંજનાં અંધારાં ઊતરી આવ્યાં ત્યારે ગુરુજી બોલી ઊઠયા : 'અરે, આ હારમાંનો એક મણિ આટલામાં જ પડી ગયો લાગે છે.'

કુમાર પણ  એટલી જગામાં મણિ શોધવા લાગ્યો.

ત્યાં સંજોગવશાત્ ચળકતા પથ્થરના ઘણા ટુકડાઓ હતા. કુમારે પોતાના ફેંટાને ફેલાવીને એ બધા જ ચળકતા પથ્થરો તેમાં બાંધવા માંડયા. નાના મોટા કંઇ કેટલીય જાતના પથ્થરો હતા !

ગુરુજીએ પૂછ્યું : 'મારે તો એક જ મણિની જરૃર હતી. તું આટલા બધા પથ્થર શું કામ ભેગા કરે છે ?'

રાજકુમાર કહે : 'અંધારામાં કયો મણિ સાચો મણિ છે એ તારવવું મુશ્કેલ છે. એટલે હું આ બધાજ પથ્થરો પ્રકાશમાં લઇ જઇશ અને તેમાંથી તારવીને આપણો મણિ કયો તેની શોધ કરીશ.'

ગુરુજીએ કહ્યું : 'ભાઈ, આજેતને તારા એક સવાલનો જવાબ મળી ગયો છે. તું બધા જ માનવીઓ સાથે પ્રીતિ સંબંધ રાખતાં અચકાય છે. તને એમાં નાનમ દેખાય છે. પણ જ્યાં સુધી આપણે જ્ઞાાનના પ્રકાશમાં જોઇએ નહિ, ત્યાં સુધી આપણને કેવી રીતે ખબર પડે કે સામા માનવીનું મૂલ્ય કેટલું કિંમતી છે ! વીરતાનો અર્થ સહનશીલતા અને યોગ્ય તારવણી છે. સામાની કદર કરવી એમાં પણ ખરું જ્ઞાાન રહેલું છે. જેમ તું સેંકડો ખોટા પથ્થરોનું અવલોકન કરશે ત્યારે જ તને તેમાંથી સાચો મણિ પ્રાપ્ત થશે, એ જ રીતે તારે નાના-મોટા, જાણ્યા-અજાણ્યા, બધા જ માનવીઓને સંપર્ક સાધવાનો છે. તેમની સેવા કરવાની છે. એ સેવાના સંશોધન બાદ જ તારા હાથમાં સાચા મણિ જેવો કોઇક સાચો માનવી આવી શકશે. આપણે જ જ્યારે અંધારામાં હોઇએ ત્યારે કેવી રીતે કહી શકીએ કે મણિ સાચો છે ? અંધારામાં આપણા હાથમાં કિંમતી મણિ આવી જાય, અરે ! સાદા કે સામાન્ય વેશમાં ખુદમાં ભગવાન પણ આપણી સામે આવીને ઊભો રહી જાય તો આપણે તેને કેવી રીતે ઓળખી શકીશું ? અને ધીર વગર વીર બની શકાતું નથી. વીરત્વની પ્રાપ્તિ થતી નથી !'